પ્રાથમીક શિક્ષિકાને નોકરીમાં અન્યાયના મામલામાં સીંગલ જજે કરેલા હુકમને બે : વર્ષ વીતી ગયા છતાં સત્તાવાળાઓએ પાલન ન કર્યુઃ સરકારની ગંભીર બેદરકારી
રાજય શિક્ષણ વિભાગના અગ્રસચીવ સંગીતાસિંઘ (આઇએએસ) અને પ્રાથમીક શિક્ષણ નિયામક આર.સી.રાવલ સામે અદાલતનો તિરસ્કાર કરવા બદલ નોટીસ જારી કરવામાં આવી છે. આ કેસની વધુ સુનાવણી એપ્રિલ માસના ત્રીજા સપ્તાહમાં રાખવામાં આવી છે. મહિલા શિક્ષિકાને નોકરીમાં અન્યાય કરવાના મામલામાં દાખલ થયેલી કન્ટેમ્ટ પીટીશનમાં હાઇકોર્ટ જસ્ટીસ એમ.આર.શાહ અને જસ્ટીસ આર.પી.ઢોલરીયાની ડીવીઝન બેચે આ નોટીસ જારી કરી હતી.
સીંગલ જજના હુકમનું બે વર્ષ સુધી પાલન કરવાની સરકારના સતાવાળાઓએ તસ્દી નહિ લેતા પ્રાથમીક શિક્ષીકા દ્વારા એમ.સી.એ. નં. ૭૭૪/૨૦૧૪ દ્વારા કન્ટમ્ટ દાખલ કરવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે, અરજદાર વલસાડ જીલ્લાના ગણદેવીની ગ્રાન્ટેડ પ્રાથમીક શાળામાં ફરજ બજાવતા હતા. સરકારની સીધી પગાર યોજના અંતર્ગત ગ્રાન્ટેડ વર્ગોના શિક્ષકો નિવૃત થતા જાય તેમ-તેમ તેમના પછીના અન્ય શિક્ષકોને તેમના સ્થાને સમાવવામાં આવતા હતા. અરજદાર પહેલા આ સિસ્ટમથી ૮ શિક્ષકોને સમાવવામાં આવ્યા હતા. જયારે અરજદારનું નામ સીધી પગાર યોજના હેઠળ આવ્યું ત્યારે સતાવાળાઓએ કોઇ પણ પ્રકારના વ્યાજબી કારણ વિના તેમને આ લાભમાંથી બાકાત રાખ્યા હતા. જેને લઇને અરજદારના બંધારણીય અને મુળભુત અધિકારોનું હનન થયું હતું. આ મુદ્દો શિક્ષણ ટ્રીબ્યુનલમાં પણ ઉઠાવ્યો હતો. પરંતુ તેમની અરજી કાઢી નાખવામાં આવી હતી. જેના પગલે અરજદારે હાઇકોર્ટમાં રીટ કરી હતી. સીંગલ જજે તા.પ-૧૦-ર૦૧૧ના આદેશથી અરજદારનું નામ ૧-૧૧-ર૦૦૮ની અસરથી સીધી પગાર યોજના અંતર્ગત સમાવવા અને તેમને આનુસંગીક તમામ લાભો ૪ મહિનામાં ચુકવી આપવા હુકમ કર્યો હતો. સાથોસાથ ટ્રીબ્યુનલના તા.૧૧-૧-ર૦૧૧ના હુકમને રદબાતલ ઠેરવ્યો હતો.
ઉપરોકત હુકમને બે વર્ષ વીતી જવા છતા સરકારના શિક્ષણ વિભાગ દ્વારા હુકમનુ ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું નથી. આ સંજોગોમાં હાઇકોર્ટે કમ્ટેમ્ટ ઓફ કોર્ટ એકટની જોગવાઇ હેઠળ સીંગલ જજના હુકમનું પાલન નહિ કરનાર જવાબદાર સતાવાળાઓ વિરૂધ્ધ અદાલતી તિરસ્કારની કાર્યવાહી ધરવી જોઇએ. આ મુદ્દે ખુલાસો માંગવામાં આવ્યો છે.